“સિગારેટ પીવાથી સ્ત્રીના માત્ર ફેફસાંને જ નુકસાન થાય છે, ચારિત્ર્યને નહીં” સહાદત અલી મંટો એટલે જમાનાથી આગળનું વિચારીને લખતા લેખકની બુક્સ વેતાળના હાથે લાગી હતી. એ તો એની બુક્સ વાંચી એના વિશે વધુ જાણવા તલપાપડ થયો હતો. એ હજુ કંઈ વધુ વિચાર કરે ત્યાં તો રાજા વિક્રમ આવીને એને ઉપાડી ચાલવા લાગ્યા…
“ડિયર વેતાળ, મેં તારા હાથમાં સહાદત અલી મંટોની બુક જોઈ એટલે આજે હું તને એની જ વાત કરું છું. મન્ટો… પૂરું નામ સઆદત હસન મન્ટો. ૧૯૧૨ના મે મહિનાની ૧૨મી તારીખે જન્મ. ૪૩ વર્ષે તો મૃત્યને શરણ થયા. કહો ને પોતે પોતાની જાતને મૃત્યુ તરફ ધકેલતા હોય એવી યાતનાભરી જિંદગી અંતે રહી. ૨૨ વરસની ઉંમરથી તેઓ વાર્તાઓ, લેખો,જીવનચરિત્ર લખતા થયા. પણ લોકો વધારે તેમને તેમની સટીક આપણને વાંચતા હૈયા સોંસરવી ઉતરી જાય એવા લખાણોવાળી વાર્તાઓથી ઓળખે છે. એમની વાર્તાઓમાં મુખ્ય વિષય સામાજિક, જાતિયજીવન અને વેશ્યાજીવન રહ્યા. એથી જ અમુક લોકોને કણાની જેમ ખૂંચતા પણ રહ્યા.
અમુક વાર્તાઓ તો નગ્ન સત્યથી ભરેલી, વાંચીને રૂંવાટા ઉભા થઇ જાય. ભાગલા પહેલાંના રાજકીય કાવાદાવાથી ઉબકાઈ ગયા ત્યારે લખેલી વાર્તાઓ ‘બૂ’ ‘કાલી સલવાર’ ‘ઘુંઆં’ પર તો ભાગલા પહેલાની અંગ્રેજી સરકારે કેસ કર્યો હતો ને એમને જેલ થઈ પણ નિર્દોષ છૂટ્યા. ભાગલા વખતે લોકોની દયનિય હાલત જોઈ ઉકળી ઉઠતા. કત્લેઆમ જોઈ એમની વાર્તાઓમાં હિન્દૂ કે મુસ્લિમવાદ નહિ પણ માનવવાદ ઉભરી આવતો. છેવટે ન છૂટકે એમને પાકિસ્તાન જવું પડ્યું. ત્યાંનું ગંદુ રાજકારણ જોઈ લખાયેલી વાર્તા ‘ઠંડા ગોસ્ત’ અને એક બીજી વાર્તા પર ત્યાં પ્રતિબંધ કરી એમને જેલ થઈ. એ પછી સુન્ન અર્ધ પાગલ અવસ્થામાં જ એમની જિંદગી વહી.
“સમયના જે કાળખંડમાંથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ, એનાથી તમે અજાણ હો તો તમે મારી વાર્તા વાંચો.” “જો તમને મારી વાર્તા ન પચે તો એનો એવો અર્થ થયો કે આ વખત પચાવી શકાય એવો નથી.” ઉપરોક્ત શબ્દો ઉર્દૂના પ્રખ્યાત વાર્તાકાર સઆદત હસન મંટોના છે. ભારત અને પાકિસ્તાનના વિભાજનમાં વેરાન થઈ ગયેલી લોહિયાળ જિંદગીઓને સઆદત હસન મંટોએ પોતાની કલમથી ઉજાગર કરી છે.
‘ઠંડા ગોસ્ત’, ‘ખોલ દો’, ‘ટોબા ટેક સિંઘ’, ‘ઈસ મઝધાર મેં’, ‘બાબુ ગોપીનાથ’ જેવી માનવમનના વમળમાં ચકારાવો લેતી વાર્તાઓનું સર્જન કરનારા મંટોએ પત્રકાર તરીકે પણ કામ કર્યું અને રેડિયો માટે સ્ક્રિપ્ટ પણ લખી. દિલ્હીથી મુંબઈ આવીને ફિલ્મોની કથાઓ પણ લખી તો મુંબઈથી પાકિસ્તાન જઈ માનવીના મનમાં રહેતા અંધકારથી ખદબદતી વાર્તાઓ પણ આલેખી.
માત્ર ચાર દાયકાનું આયુષ્ય ભોગવી ‘હિંદુસ્તાન-પાકિસ્તાન’ના ભેદરૂપી કળણમાં ખદબદતી દુનિયાને છોડી જનારા મંટોનું સાહિત્ય એ કાળખંડમાં જન્મેલી અને ઇન્સાની હેવાનિયતનો ભોગ બની આથમી ગયેલી જિંદગીઓની અંધારી બાજુઓમાં પ્રકાશ પાડવા પૂરતું છે. મંટોએ 22 ટૂંકી વાર્તાસંગ્રહો, અઢળક ફિલ્મની કથાઓ, જીવનચરિત્રો અને નિબંધ લખ્યાં. ‘ધૂંઆ’, ‘બુ’, ‘કાલી સલવાર’, ‘ઠંડા ગોસ્ત’, ‘ઉપર નીચે દરમિયાં’, જેવી વાર્તામાં અશ્લીલતાના આરોપોને કારણે મંટોએ છ વખત કોર્ટના ધક્કા ખાવા પડ્યા! ત્રણ વખત પાકિસ્તાન બન્યું તે પહેલાં અને ત્રણ વખત પાકિસ્તાન બન્યું તે પછી.
મંટોના લખાણની વિશેષતા એ હતી એમાં નગ્ન વાસ્તવિકતાનું નિરૂપણ હતું. મંટો જેવું જોતા એવું જ લખી નાખતા. મંટો પર બનેલી ફિલ્મમાં મંટોનું પાત્ર ભજવતા નવાઝુદ્દીન સિદ્દીકી મંટો વિશે કહે છે, “મંટોએ હંમેશાં સાચું બોલ્યું. જે જોયું એ જ લખ્યું.” સમાજની નગ્નતા દર્શાવવાના આરોપ અંગે મંટોએ કહ્યું હતું, “હું સમાજનાં વસ્ત્રો શું ઉતારવાનો? એ તો પહેલાંથી જ નગ્ન છે. હું એને વસ્ત્રો પહેરાવવાનો પ્રયાસ પણ નથી કરતો. એ કામ મારું નહીં, દરજીઓનું છે.” 42 વર્ષની જિંદગીમાં છેલ્લાં સાત વર્ષ પાકિસ્તાનમાં વિતાવનારા મંટોએ લાહોરમાં એક વખત કહ્યું હતું કે, “મૈં ચલતાં-ફિરતાં બમ્બઈ હૂં.”
જિંદગીનાં 12 વર્ષ મંટોએ મુંબઈના નામે કર્યાં હતાં. દાદા મુની (અશોક કુમાર) અને અભિનેતા શ્યામ જેવા મિત્રો પણ મંટોને મુંબઈએ જ આપ્યા હતા. મંટો અને દાદા મુની બન્ને મુંબઈમાં ‘ફિલ્મિસ્તાન’ સ્ટુડિયો માટે કામ કરતા હતા. અશોક કુમાર જ્યારે ‘ફિલ્મિસ્તાન’ છોડીને ‘બૉમ્બે ટૉકિઝ’માં જોડાયા તો મંટો પણ સાથે આવ્યા હતા. અશોક કુમાર સાથેની મંટોની મિત્રતા એટલી તો ગાઢ હતી કે ‘સ્ટાર્સ ફ્રૉમ અનધર સ્કાઈ’ નામના પુસ્તકમાં તેમણે એક આખું પ્રકરણ અશોક કુમાર પર લખ્યું હતું.
પત્રકાર આકાશ પટેલ મંટોના મહત્ત્વને સમજાવતાં કહે છે, “મંટોનું માનવું હતું કે જો ભારતમાં ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહે તો એ બહુ જ શક્તિશાળી દેશ બની શકે એમ છે.” “જોકે, પાકિસ્તાન એક એવો દેશ છે કે જે ધર્મના પાયા પર રચાયો અને એટલે જ ત્યાં હંમેશાં મુશ્કેલીઓ ઊભી જ રહેશે.” પંજાબના લુધિયાણાના સમરાલામાં 12મે, 1912ના રોજ જન્મેલા મંટો અમૃતસરમાં રહ્યા અને પિતાના મૃત્યુ બાદ પત્રકાર બનવા મુંબઈ આવી ગયા. દેશના ભાગલા બાદ પાકિસ્તાન જતા રહ્યા.
મંટોને જાણનારાઓનું કહેવું છે કે મુંબઈમાં રહેતા મંટો અને પાકિસ્તાનમાં ગયેલા મંટો એ બન્ને અલગઅલગ વ્યક્તિ હતી. ભાગલાએ જન્માવેલી હેવાનિયતે મંટોનું લખાણ બદલી નાખ્યું હતું. “જે રોમાન્સ એમની કહાની ‘બૂ’માં જોવા મળ્યો હતો, એ બાદમાં ક્યારેય નથી દેખાયો. એમનું લખાણ હિંસક વિષયો તરફ વળી ગયું હતું.”
પણ, એ હિંસક લખાણ મરવા પડેલી માનવતાને બચાવવાના પ્રયાસનો ભાગ હતું. મંટો પર ફિલ્મ બનાવનારાં નંદિતા દાસ કહે છે, “રાષ્ટ્રવાદ અને ધર્મોની મર્યાદામાંથી બહાર નીકળીને એક માનવ તરીકે ઊભેલા મંટો મને પસંદ છે અને એટલે જ મેં એમના પર ફિલ્મ બનાવવાનું પસંદ કર્યું.”
‘આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોને તક, કૌન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક’ મંટોને ગાલિબ બહુ જ ગમતા હતા. ઉપર લખાયેલો ગાલિબનો શેર મંટોની આખી જિંદગાની આવરી લેવા પૂરતો છે. આખી જિંદગી અશ્લીલતા, નગ્નતા, ફાલતુ લખાણ જેવા આરોપો સહન કરનારા, પૂરતી કદર ન મેળવનારા મંટો ભાગલાનાં આઠ વર્ષે ફાની જહાંને અલવિદા કરી ગયા. પણ, એમના મૃત્યુ બાદ ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશોને એમનું મહત્ત્વ સમજાયું. એમની ગણના માત્ર ભારત અને પાકિસ્તાનના જ નહીં, સમગ્ર દક્ષિણ એશિયાના મહાન લેખકોમાં થવા લાગી.
એમના પર ફિલ્મો બનવા લાગી, પુસ્તકો લખાવાં લાગ્યાં, ચર્ચાઓ યોજાવા લાગી અને જલસાઓ થવા લાગ્યા. પણ, જો મંટો આજે હયાત હો તો એમને મળી રહેલાં આ માન-સન્માન પર શું કહેત? કદાચ ટોબા ટેક સિંઘની ભાષામાં બોલ્યા હોત, ‘ઔપડ દી ગડ ગડ દી અનૈક્સ દી બેધ્યાના દી મુંગ દી દાલ ઑફ ઑનર ઑફ હિંદુસ્તાન ઍન્ડ પાકિસ્તાન’.” મંટોની વાત સાંભળી વેતાળ બોલી ઊઠ્યો, “મહારાજ, આજે જ નેટફ્લિક્સ પર મંટોની ફિલ્મ જોવી પડશે, તમે પણ સાથે બેસજો…”
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Desclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.