પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આવ્યો અને વેતાળ ખાસ એની નોકરીમાં એક મહિનાની રજા મુકીને સેવા આપવા આવ્યો હતો. વેતાળની જેમ જ વિશ્વભરના ૮૦,૦૦૦ સ્વયંસેવક પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે પ્રેમ જતાવવા શતાબ્દી મહોત્સવ દરમિયાન બધી જવાબદારીઓ બાજુમાં મુકીને સેવા કરવા આવ્યા હતા. આ પ્રસંગે રાજા વિક્રમ પણ ખાસ વેતાળના આમંત્રણને માન આપીને આવ્યા હતા. એમને એક ગાઈડ આપવામાં આવ્યો હતો…
“જય સ્વામિનારાયણ…” કહીને સ્વયંસેવકે રાજા વિક્રમને પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની પ્રદક્ષિણા ચાલુ કરાવી. “ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ ગયો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજે ઓછામાં ઓછા એક લાખ અને શનિ-રવિ તથા રજાઓમાં 2થી 3 લાખ મુલાકાતી પ્રવેશ લઈ રહ્યા છે. એવો અંદાજ છે કે આ મહોત્સવમાં એક મહિના દરમિયાન એક કરોડથી પણ વધુ મુલાકાતીઓ આવવાની શક્યતા છે. આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એકેએક બાબતનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. આ નગરમાં આઝાદીના અમૃત મહોત્સવના વીરપુરુષોના કટઆઉટ પણ મુકાયા છે.
બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે એવા નગરની રચના કરવામાં આવી છે. આ ઉદઘાટન સમારોહમાં 1 લાખથી વધુ હરિભક્તો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં ભાવિક અને ભક્તો માટેની વ્યવસ્થા સાચવવા BAPS દ્વારા દિવસ-રાત મહેનત કરવામાં આવી રહી છે, જેમાં ભોજનથી લઈ ભજન સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા સ્વયંસેવક ખડેપગે તૈયાર છે.
આ નગરની મુલાકાતે આવનારા હરિભક્તો સહિત પ્રજા માટે નગરમાં જુદાં જુદાં સ્થળે 30 પ્રેમવતી ઊભી કરવામાં આવી છે. આ પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની ચીજવસ્તુઓ મળે છે. મહિલાઓ દ્વારા સંચાલિત આ પ્રેમવતીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, ભાજીપાંઉ, દાબેલી અને સમોસાં તેમજ સેન્ડવિચ માત્ર 20 રૂપિયામાં મળશે, જ્યારે નમકીનના પેકેટ માત્ર 10 રૂપિયામાં ઉપલબ્ધ થશે. પ્રમુખસ્વામીનગરમાં ઊભી થનારી 30 પ્રેમવતીનું સંચાલન 2200 મહિલા દ્વારા કરવામાં આવ્યું છે.
પ્રેમવતીમાં ભોજન પહોંચાડવા માટે 20 જેટલી ઇલેક્ટ્રિક રિક્ષાથી સપ્લાય કરવામાં આવે છે તેમજ પ્રેમવતીનું મેનુ પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કઈ વસ્તુની કેટલી કિંમત છે એ દર્શાવવામાં આવ્યું છે. એમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, પાઉંભાજી ઉપરાંત દાબેલી, સમોસાં તેમ જ સેન્ડવિચ અને પફ ઉપરાંત નાસ્તાનાં તૈયાર પેકેટો ઉપલબ્ધ થશે તેમજ આઇસક્રીમ તથા કોલ્ડડ્રિક્સ પણ છે. ભગવાન શ્રી સ્વામનારાયણના માતાનું નામ પ્રેમવતી હતું. એટલું કે માતા અન્નપૂર્ણા છે જે પ્રેમથી ભોજન કરાવે છે. આ ઉદ્દેશ આ પ્રસાદગૃહના નામની પાછળ સમાયેલો છે.
મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે BAPS બાળનગરી. આ બાળનગરી એ બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક અલગ નગરી છે. અહીંની વિવિધ પ્રસ્તુતિઓ મુલાકાતી બાળકોને જીવનમાં વધુ સારી વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દે છે. સંસ્થાનાં 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યાં છે.
કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિરત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવશે અને બાળકોને મોજ કરાવે છે. આ ઉપરાંત આ કાર્યક્રમોથી મુલાકાતી બાળકોની ભીતરની સુસુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપે છે.
મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારેતરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હુબહુ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મનાં દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન સ્વામિનારાયણ – અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધા-કૃષ્ણ, ભગવાન સીતા-રામ, ભગવાન ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકોમાં શ્રદ્ધા દર્શાવે છે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ કંડારાયેલી છે.
આ શતાબ્દી મહોત્સવ દરમિયાન 58 નવયુવાનોએ મહંતસ્વામીના હસ્તે સંતદીક્ષા લીધી, MBA અને આર્કિટેક્ટ સહિતના પાર્ષદોનો સમાવેશ થાય છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મહંત સ્વામીના હસ્તે સવારે 9 વાગ્યે ભાગવતી દીક્ષા સમારોહનો યોજાયો હતો. જેમાં BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજા કરાઈ હતી. મહાપૂજા બાદ સૌ નવદિક્ષિત સંતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી હતી.
અનેક યુવકો આજે પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંતસ્વામી મહારાજની દિવ્યતા અને ગુણોથી આકર્ષાઈને ત્યાગશ્રમમાં જોડાવા તૈયાર થઈ જાય છે કારણકે તેમના સાંનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમ્યાન 1000 જેટલા યુવકોને દીક્ષા આપી, જેમાં 10 ડોક્ટર, 12 એમ બી એ, 70 માસ્ટર ડિગ્રી, 200 એન્જિનિયર અને કુલ સંતોમાંથી 70% થી વધુ સંતો ગ્રેજ્યુએટ છે. આજે 55 સંતો ઇંગ્લેન્ડના નાગરિક છે અને 70 સંતો અમેરિકાના નાગરિક છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દરમિયાન કુલ 2100થી વધુ સ્વયંસેવકોએ છેલ્લાં 6 મહિનાથી વધુ સમય મહેનત કરીને ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલ વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સૌની આંખોને જકડી રાખે છે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે.
પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ મૂર્તિ આ મહોત્સવનું આકર્ષણ છે. મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે. આદિ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ, બુદ્ધ અને મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. આ વર્તુળની રંગબેરંગી ફૂલોની શોભતી રચનાઓ પણ આહલાદક છે…”
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આ સીવાય પણ અનેક આકર્ષણો છે. આ બધાથી ઉપર એટલે આ સંસ્થાનું અદ્ભુત મેનેજમેન્ટ ઉડીને આંખે વળગે તેવું છે. આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનું કોમ્બિનેશન છે. આવનાર મહેમાનોનું દિલથી આવકાર અને સંપૂર્ણ માહિતી મળી રહે એવું આયોજન છે. વેતાળને તો અત્યારે એક અલગ વિશ્વમાં રહેતા હોઈએ એવો અહેસાસ થાય છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ એટલે એમ કહી શકાય કે જીવતેજીવત સ્વર્ગની અનુભૂતિ.
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.