‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી…’ ઠેક ઠેકાણે કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. દહીંહાંડીમાંથી માખણ કાઢી વિજેતા થવા માટે સ્પર્ધા ચાલી રહી હતી. વેતાળને પહેલેથી જ જન્માષ્ટમી અને દહીંહાંડી કાર્યક્રમનો ક્રેઝ હતો એ મુંબઈ ખાસ આ માટે જતો. આ વખતે તો રાજા વિક્રમ પણ સાથે હતા. ‘ગો ગો ગોવિંદા આલા રે આલા રે આલા…’ વાગતું હતું અને દહીંહાંડીને થોડી વાર હતી. રાજાએ વેતાળને અનોખી વાત કહી.
“ડિયર વેતાળ, જન્માષ્ટમી આવે છે અને ખાસ સંદેશો આપે છે. તને આજે ક્યારે પકડવું, ક્યારે અટકવું અને ક્યારે છટકવું એ ઉદાહરણ સાથે સમજાવું. ક્યારે પકડવું ? રાકેશ ઝુનઝુનવાલા, ક્યારે અટકવું ? – લીઓ તોલ્સતોય અને કયારે છોડવું ? – કૃષ્ણ… લાઈફનો લેસન અહીંથી શીખવા મળે છે.
ક્યારે પકડવું ? હર્ષદ મેહતાથી રાકેશ ઝુનઝુનવાલા: હર્ષદ મેહતા જયારે ઊંટ – વજીરની ચાલ ચાલતા ત્યારે રાકેશ ઝુનઝુનવાલા હજુ પોન-પ્યાદાની ચાલ ચાલતા હતા. જ્યારે હર્ષદ મેહતા ચેક મેટ થઈ ગયા ત્યારે રાકેશ ઝુનઝુનવાલાએ હજુ વજીરની ચાલ ચાલવાનું શરૂ કરેલું. રાકેશભાઈ પણ હર્ષદભાઈ મેહતા પાસેથી કઈ ન શીખ્યા અને એ પણ કસમયે શેર માર્કેટમાં ચેકમેટ થઈ ગયા. આ બન્ને એમના સમયના બીગ બુલ હતા. હર્ષદભાઈ તો યુવાનીમાં જ વિદાય થયા અને રાકેશભાઈ એ હજુ સીનીયર સિટીઝન પદવી મેળવી અને જીવન માણવાના દિવસો આવ્યા ત્યાં જ ગેમ સંકેલી લીધી. આ બન્ને પાસે તકને પકડી લેવાની ગજબની આવડત હતી. ક્યારે શેર લેવા અને ક્યારે વેચવા? આ બંને તક ઝડપી લેવામાં આ બંને માહિર હતા. રાકેશભાઈ પાસે ખૂટે નહીં એટલી સંપતી હતી. આમ છતાં તેને માણી ન શક્યા.
ક્યાં અટકવું – લીઓ ટોલ્સટોય. ટોલસ્ટોયની એક વાર્તા હતી કે એક જમીનદાર પાસે હજારો વીઘા જમીન હતી એમાંથી એ અમુક જમીન દાન કરવા માગતો હતો. આથી તેણે જાહેરાત કરી કે સૂર્યોદય સમયે ગામને પાદર બધા આવી જાય. જે વ્યક્તિ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં જે કંઈ જમીન ચાલીને જઈ આવે તે જમીનનો તે માલિક તે થઈ જશે. આથી એક લોભી ખેડૂત હતો તેણે વધારેમાં વધારે જમીન લેવા એટલું ચાલ્યો કે જમવા માટે પણ ન રોકાયો. પરંતુ એ ખેડૂતને ખબર ન હતી કે ક્યાં અટકવું – ક્યારે અટકવું અથવા તો ક્યાંથી પાછા વળવું.
પરિણામે મધ્યાન સમયે પાછા વળવું જોઈએ તેના બદલે ઢળતી સાંજે પાછા ફરવાનું શરૂ કર્યું. પરિણામે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં સૂર્યાસ્ત પહેલા પહોંચવા માટે ભૂખ્યા પેટે પણ એટલો સખત દોડ્યો કે નક્કી કરેલી જગ્યા પર પહોંચતા જ તેના પ્રાણ નીકળી ગયા. અને તેને માત્ર છ ફૂટની જગ્યા પ્રાપ્ત થઈ. જ્યાં તેની કબર બનાવવામાં આવી. આમ મંઝિલ સુધી પહોચવામાં કે મંઝિલ મેળવવામાં જ જિંદગી પૂરી થઇ ગઈ. જીવવા માટે મંઝિલ ચોક્કસ જોઈએ પણ મંઝિલ માટે જ જીવન ન વેડફી નાખવાનું થોડું હોય. આથી ક્યાં અટકવું એ ખબર હોવી જોઈએ.
ક્યારે છોડવું, અથવા છટકવું – કૃષ્ણ… જરાસંધ સાથે સતર સતર વખત લડાઈ કર્યા પછી મથુરા વાસીઓનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. જરાસંધને મથુરા સામે વાંધો ન હતો પરંતુ કૃષ્ણ સામે જ વાંધો હતો. આથી એક યાદવે વૃષ્ટિ સંઘની મીટીંગમાં કૃષ્ણને કહ્યું કે, “તારા અમારા પર અપરંપાર ઉપકારો છે અમે તેનું ઋણ ચૂકવીએ તેટલું ઓછું છે. પરંતુ સતર સતર વખત યુદ્ધ કરીને બધા થાક્યા છે અને જરાસંઘને તારી સાથે દુશ્મની છે. આથી જો તું મથુરા છોડી દે તો આ યુદ્ધ અટકી જાય.” કૃષ્ણ પણ વિચારે છે કે વાત તો સાચી છે. અને એ મથુરા છોડી દે છે લોકો રણછોડ કહેશે તેની ચિંતા ન કરી ફિકર ન કરી. આ પછી સોનાની દ્વારકા નિર્માણ કરી.
આ ત્રણેય પ્રસંગો પરથી લાગે કે જીવનના દરેક તબક્કે આ ત્રણ ઘટનાઓ બનવાની છે. યુવાનીમાં આવતી તકને પકડવાની છે. જો યોગ્ય તક યોગ્ય સમયે ન પકડાય તો માણસે જીવનભર પસ્તાવું પડે છે. જેઓ ખુબ સમજુ અને શાર્પ છે તેઓ યોગ્ય તકને સમયસર પકડી લે છે. આથી જીવનમાં સતત પ્રગતિ કરતા રહે છે.
આ પછીનો બીજો તબક્કો એટલે ક્યાં અટકવું એ ખબર નથી પડતી. આપણું શરીર આપણને સંકેત આપે છે કે ભાઈ હું ડાયાબિટીક છું. બોર્ડર પર ચક્કર લગાવું છું અને તને કહેવા આવું છું કે અટકી જા. હું બી.પી. છું અને હજુ તારી હદમાં પ્રવેશ કર્યો નથી ત્યાં સુધીમાં તું અટકી જા. પરંતુ આપણે તો પેલા ખેડૂતની જેમ વધુને વધુ જમીન હાંસલ કરવાની જેમ વધુને વધુ બેંક બેલેન્સની મંઝિલ મેળવવામાં આ સરહદે લડતા દુશ્મનો તરફ ધ્યાન જ નથી આપતા. પરિણામે હર્ષદ મેહતા કે રાકેશ ઝુનઝુનવાલ કે પેલા ખેડૂતની જેમ બધું મેળવ્યા છતાં કંઈ જ ભોગવી નથી શકતા.
આપણે જીવનને અલવિદા કહેવું પડે છે. કૃષ્ણને કંસને મારી નાખવાની તક ઝડપતા પણ આવડી, જરાસંધ સાથે યુદ્ધમાં અટકતા પણ આવડ્યું અને રણછોડરાય થઇને મથુરા છોડતા પણ આવડ્યું. જીવનના ત્રણેય તબક્કા જીવી દેખાડ્યા. આવા તો અનેક પ્રંસગો કૃષ્ણના જીવનમાં જોવા મળે છે. જ્યાં ક્યાં પકડવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આ કૃષ્ણના જીવનમાં જોવા મળે છે. તો જન્માષ્ટમીના પર્વ પર કૃષ્ણને અલગ અલગ દ્રષ્ટિકોણથી મૂલવીએ અને માણીએ.
કૃષ્ણને ઘરમાં લાવવા સહેલા છે, પણ એને હૃદયમાં પધરાવવા તો,
રાધા થવું પડે…
કૃષ્ણને શોધવા સહેલા છે,
પણ સ્વયંને એનામાં સમાવવા તો,
મીરાં થવું પડે…
કૃષ્ણને ભોગ લગાવવા સહેલા છે,
પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો,
એને અર્પણ કરવા તો,
સુદામા થવું પડે…
કૃષ્ણ ભજવા સહેલા છે, પણ
મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર,
એને બોલાવવા તો,
દ્રૌપદી થવું પડે…
કૃષ્ણને મિત્ર બનાવવા સહેલા છે,
પણ એના વૈભવને નકારી,
એની મિત્રતાને પામવા તો,
અર્જુન થવું પડે…
કૃષ્ણને ગુરુ બનાવવા સહેલા છે,
પણ એની શિક્ષાની લાજ માટે,
સ્વયંનું મૃત્યુ સ્વીકારવા તો,
અભિમન્યુ થવું પડે…
ઈશ્વર બનીને વરદાન આપવા સહેલા છે,
પણ ઈશ્વર થઈને માણસની વેદના ભોગવવા તો,
માત્ર ‘કૃષ્ણ’ જ થવું પડે..!
એટલે ડિયર વેતાળ કૃષ્ણને સમજી લીધા તો કાયમી જન્માષ્ટમી છે.” આ વાત દરમિયાન દહીંહાંડીનો કાર્યક્રમ પણ મસ્તી પતી ગયો.
“હે મહારાજ, આપણા તહેવાર કોઈને કોઈ શીખ જરૂર આપે છે. દહીંહાંડીમાંથી લેવા જેવી શીખ: કોઈના સહકાર વગર ઉપર ચડી શકાતુ નથી, બધાજ ટોચ ઉપર પહોંચી શકતા નથી, જોખમ લેવાવાળા જ ઉપર ચડી શકે, નીચેના માણસોએ સૌથી વધારે ભાર ઉચકવો પડે છે, સૌથી મજાનું, માખણ ઉપર વાળાને જ મળેછે..!”
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.